મિત્રો,તમે ક્યાંક વાચ્યું હશે,સાંભળ્યું હશે કે,પ્રાચીન સમયમાં આપણા ઋષિ-મુનિઓ ખૂબ લાબું જીવન જીવતાં.સો,દોઢસો વર્ષ જીવવું એમનાં માટે રમત વાત હતી.અને આજનાં સમયમાં લાખોમાં એક વ્યક્તિ શતાયું થાય છે ત્યારે છાપામાં તે સમાચાર બનીને ચમકી જાય છે. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે.પરંતુ જીવન મળ્યા પછી એને વ્યવસ્થિત રીતે જીવીને દીર્ઘાયુ ભોગવવું એ આપણા હાથમાં છે. કોઈપણ માણસ ધારે તો શતાયું થઈ શકે છે. પરંતુ તેના માટે દ્રઢ આત્મવિશ્વાસની સાથે સાથે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. તો ચાલો જોઈએ શતાયું થવાના કેટલાક નૈસર્ગિક ઉપાયો વિશે.
1.લાબું જીવવાં માટેની જીજીવિષા કેળવો.
"જીજીવિષા"એટલે જીવન જીવવાની ઈચ્છા. સ્વસ્થ અને નીરોગી રહીને લાંબું જીવન જીવવું છે એવો મનમાં દ્રઢ નિશ્ચય કરો અને એના માટેના પ્રયત્નો આદરો.
2. સંતુલિત આહાર.
ઘડપણને જલદી લાવવામાં આહાર મુખ્ય ભાગ ભજવે છે જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો ઘડપણ જલ્દી આવશે. સંતુલિત આહાર એટલે જેમાંથી શરીરને બધાં પ્રકારના પ્રોટીન્સ, કેલ્શિયમ,ચરબી, વિટામિન્સ,આર્યન,ફોસ્ફરસ વગેરે તમામ તત્વ મળે તે સંતુલિત આહાર ગણાય. વિવિધ,અનાજ કઠોળ,શાક ભાજી,કંદમૂળ,ફળ,દહીં,દૂધ,ઘી વગેરેનો ઉપયોગ ખોરાકમાં સામેલ હોવો જોઈએ.જેથી શરીરને દરેક પ્રકારની જરૂરિયાતો સંપૂર્ણ પ્રમાણમાં મળી રહે અને એનાથી શરીરના કોષ અને બંધારણની રચનાને પોષણ મળે.જે શરીરને યુવાન અને તરોતાજા રાખે.આમ સંતુલિત આહાર પણ દીર્ઘાયુ થવામાં મદદરૂપ બને છે.
3.ઉપવાસ.
ઠાંસી ઠાંસી ને ન ખાવું.પેટ ઉપર જરૂરિયાત કરતાં વધારે ભાર ન પડવો જોઈએ.ઓછું ખાવાથી ઉંમર ઘટતી નથી વધારે ખાવાથી ઘટે છે.પેટની પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા બહારથી નહીં; પણ અંદરથી પાચક રસ નીકળતો રહે તે છે.આ પાચકરસને ઉત્તેજન આપવાં માટે થોડાં થોડાં દિવસોએ ઉપવાસ કરી જઠરને આરામ આપવો જોઈએ.એટલાં માટે જ સંસારનાં બધાં જ ધર્મોમાં ઉપવાસને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી,યહૂદી,જૈન અને બૌદ્ધ ધર્મમાં ઉપવાસને આધ્યાત્મિકતા નું અંગ ગણવામાં આવે છે.જેથી માનવ માત્રની તંદુરસ્તી જળવાઈ રહે અને તે દીર્ઘ જીવી બને.
4.અતિરેક ટાળો.
આપણે ત્યાં કહેવાયું છે કે, "અતિ સર્વત્ર વર્જયતે.." કોઈપણ વસ્તુનો અતિરેક ટાળતાં શીખો.નિયમાંનુસાર ભોજન લો,માપસર ની ઊંઘ લો,માપસરની કસરત કરો,માપસરનો શ્રમ કરો.વધારે પડતો શરીર પર બોજ પડે તેવું કોઈપણ કાર્ય કરવું જોઈએ નહિ.
નહીં તો સમય પહેલા શરીરમાં ઘસારો લાગવા માંડશે અને શરીર રોગનું ઘર બની જશે.
5. વ્યાયામને શરણે જાવ.
તંદુરસ્ત અને ફિટ રહેવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. રોજિંદા જીવનમાં વ્યાયામને પોતાના સમયપત્રકમાં સ્થાન આપી દો.સવારે 30 મિનિટ યોગ-પ્રાણાયામ,હળવી કસરત વગેરે માટે ફાળવો.બની શકે તો દરરોજ સવારે અથવા સાંજના સમયે બે કિલોમીટર જેટલું ચાલવાનું રાખો.ચાલવાથી શરીરને દરેક જાતનો વ્યાયામ મળી રહે છે.જેથી શરીરમાં રક્ત પરિભ્રમણની કક્ષા નિયમિત બને છે.
6.પુરતી ઊંઘ લો.
રાત્રે ઓછામાં ઓછી આઠ થી દસ કલાકની ઘસઘસાટ ઊંઘ ખૂબ જ જરૂરી છે.વહેલાં સુઈને વહેલાં ઊઠવાનો નિયમ રાખો.ક્યારેક પણ સવારે મોડે સુધી પથારીમાં પડી રહેવું નહીં.પક્ષીઓ પણ વહેલાં પોતાના માળા જતાં રહે છે અને મળસકે વહેલાં ઊઠી જાય છે.ઊંઘની બાબતમાં પક્ષીઓનાં નિયમને ફોલો કરો.
7.મનગમતી પ્રવૃત્તિ કરો.
દરેક રોજિંદા કામની સાથે સાથે પોતાની મનગમતી પ્રવૃત્તિ, પોતાના શોખને પણ પ્રાધાન્ય આપો.સારાં પુસ્તકો વાંચો,સંગીત સાંભળો,ફિલ્મ જુઓ,બાગકામ કરો,ફરવાં જાવ,મિત્રોને મળો. ગમતી પ્રવૃત્તિઓ કરવાથી તણાવ દૂર થાય છે.તણાવ લાંબા આયુષ્યને અવરોધવાનું કામ કરે છે.
8.ફાસ્ટ ફૂડ બંધ કરો.
બજારમાં મળતાં ફાસ્ટફૂડ સદંતર બંધ કરી દો અથવા તો મહિનામાં એકાદ વખત લો.રેડીમેડ નાસ્તા શરીર માટે ખૂબ જ હાનિકારક છે.જઠરને નબળું પાડનાર હોય તેનાથી દૂર રહો.ઘરે બનાવેલાં નાસ્તાનો જ ઉપયોગ કરો.
9. વ્યસનને તિલાંજલી આપો.
કોઈ પણ જાતનાં હાનિકારક વ્યસનથી દૂર રહો. બીડી, સીગારેટ,
તમાકુ-ગુટકા વિવિધ ઠંડા પીણાં અને શરાબને કાયમી તિલાંજલી આપો.
10.પ્રકૃતિ તરફ પાછા વળો.
ભૌતિક વસ્તુઓ તરફની દોટ માણસને પ્રકૃતિથી જાણે વિખુટા પાડી રહી છે.પોતાની સુખ સુવિધા માટે માણસ જંગલ, નદીઓ, પશુ-પક્ષીઓનું નિકંદન કાઢી રહ્યો છે.ગામડાંઓ ભાંગીને શહેરોમાં પરિવર્તન પામી રહ્યાં છે.આને પરિણામે પ્રદુષણનું પ્રમાણ વાતાવરણને ભયજનક રીતે પ્રદુષિત કરી રહ્યું છે.હવા પ્રદુષણને રોકવા અઢળક વૃક્ષો ઉછેરવાં પડશે.કુદરતી વાતાવરણ આયુષ્યને વધારનાર છે.માટે પ્રકૃતિ તરફ પાછા વળવું અનિવાર્ય છે.
11.ઉપસંહાર.
આમ,લાંબુ આયુષ્ય ભોગવવાની દ્રઢ ઈચ્છા શકિત સાથે ઉપરોક્ત મુદ્દાઓને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરશો તો જરૂર નિરોગી રહી સો વર્ષનું દીર્ધાયુ ભોગવશો એમાં કોઈ શંકાને સ્થાન નથી.
Comments
Post a Comment